હદીષ વિભાગ

જ : - ઉમર બિન ખત્તાબ કહે છે કે મેં નબીએ કરીમ ﷺને કહેતા સાંભળ્યા : "કાર્યોનો આધાર નીયતો પર છે, દરેક વ્યક્તિને તેની (સારી અથવા ખરાબ) નિયત પ્રમાણે (સારો અથવા ખરાબ) વળતર મળશે, બસ ! જેની હિજરત અલ્લાહ અને તેના પયગંબર માટે હશે, તેની હિજરત તેમના માટે જ સમજવામાં આવશે અને જેણે દુનિયા પ્રાપ્ત કરવા માટે અથવા કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવા માટે હિજરત કરી તો તેની હિજરત તેના માટે જ હશે.” આ હદીષને ઈમામ બુખારી અને મુસ્લિમે રિવાયત કરી છે.
હદીષથી મળતા ફાયદા :

૧. દરેક અમલ માટે નિયત કરવી જરૂરી છે, નમાઝ, રોઝા, હજ દરેક અમલ માટે નિયત કરવી જરૂરી છે.
૨. નિયત ફક્ત અલ્લાહ માટે જ કરવી જરૂરી છે.
બીજી હદીષ :

જ. ઉમ્મુલ્ મુઅમિનીન ઉમ્મે અબ્દુલ્લાહ આયશા રઝી. કહે છે કે રસૂલ ﷺ એ કહ્યું : જે કોઈ વ્યક્તિ દીન બાબતે કોઈ નવી વાત કહેશે, જે તેમાં નથી, તો તેની તે વાત માન્ય નહિ ગણાય. આ હદીષને ઈમામ બુખારી અને મુસ્લિમે રિવાયત કરી છે.
હદીષથી મળતા ફાયદા :

૧. દીનમાં નવી વાત કહેવી મનાઈ છે.
૨. અને એ કે દીનમાં કોઈ પણ નવું કાર્ય રદ છે, તે માન્ય ગણવામાં નહી આવે.
ત્રીજી હદીષ :

60/1 - ઉમર બિન ખત્તાબ રિવાયત કરે છે કે એક દિવસે અમે આપﷺ પાસે બેઠા હતા, કે અચાનક એક વ્યક્તિ અમારી પાસે આવી પહોંચ્યો, તેના કપડાં એકદમ સફેદ હતા, અને વાળ સખત કાળા, તેના (ચહેરા)પર સફરની નિશાનીઓ ન હતી અને અમારા માંથી કોઈ તેને ઓળખતું ન હતું, અહીં સુધી કે તે આપ ﷺ પાસે બેસી ગયો, તેણે પોતાના ઘૂંટણ આપﷺના ઘૂંટણ સાથે ભેગા કરી દીધા અને પોતાના હથેળીઓને પોતાની સાથળ ઉપર મૂકી દીધી,(અર્થાત અત્યંત વિનમ્રતાથી બેસી ગયો) અને કહ્યું કે હે મુહમ્મદﷺ ! મને ઇસ્લામ વિશે જણાવો આપﷺ એ કહ્યું, ઇસ્લામ એ છે કે તમે આ વાતની સાક્ષી આપો કે અલ્લાહ સિવાય કોઈ ઇબાદતને લાયક નથી અને મુહમ્મદﷺ અલ્લાહના રસૂલ છે, નમાઝ પઢતા રહો, ઝકાત આપતા રહો, રમઝાન માસના રોઝા રાખો અને જો તમને હજ માટેના સફરની શક્તિ હોય તો બૈતુલ્લાહની હજ કરો, તેણે કહ્યું કે તમે સાચું કહ્યું, અમને તેની આ વાત પર આશ્ચર્ય થયુ કે તે તેમને સવાલ પણ કરે છે અને જવાબની પુષ્ટિ પણ પોતે જ કરે છે, તેણે (ફરીથી) કહ્યું, મને ઈમાન વિશે જણાવો. આપﷺએ કહ્યું, ઈમાન એ છે કે તમે અલ્લાહ પર, તેના ફરિશ્તાઓ પર, તેની (અવતરિત) કિતાબો પર, તેના રસૂલો પર, આખિરતના દિવસ પર અને સારી અને ખરાબ તકદીર પર ઈમાન રાખો, તેણે ફરીથી કહ્યું કે તમે સાચું કહ્યું, પછી તેણે (ત્રીજો) સવાલ કર્યો, મને એહસાન વિશે જણાવો. આપﷺએ જવાબ આપ્યો કે એહસાન એ છે કે તમે અલ્લાહની એ રીતે ઇબાદત કરો જાણે કે તમે તેને જોઈ રહ્યા છો, જો તમે તેને નથી જોઇ રહ્યા તો તે તમને જોઇ જ રહ્યો છે, તેણે કહ્યું કે મને કયામત વિશે જણાવો. (કે તે ક્યારે આવશે), આપ ﷺ એ જણાવ્યું કે આ વિશે જેને સવાલ કરવામાં આવ્યો છે તે આ સવાલ કરવાવાળા કરતા વધારે નથી જાણતો (અર્થાત હું આ વિશે નથી જાણતો), તેણે કહ્યું, (સારું) કયામતની મોટી મોટી નિશાનીઓનું વર્ણન કરો, આપﷺએ કહ્યું કે દાસી પોતાના માલિકને જન્મ આપશે અને એ કે તમે એવા લોકોને જોશો જેમના શરીર પર કપડાં, પગમાં ચપ્પલ અને ખાવા માટે ખોરાક નહિ હોય, (પરંતુ આવા ફકીરો પાસે એટલો માલ આવી જશે કે તેઓ) મકાન બનાવવામાં એકબીજા ઉપર ગર્વ કરશે, પછી તે (સવાલ કરનાર) ચાલ્યો ગયો, (હદીષ રિવાયત કરનાર સહાબી-ઉમર કહે છે કે) હું ઘણી વાર સુધી (આપﷺ પાસે) ઊભો રહ્યો, આપ ﷺ એ મને પૂછ્યું, ઉમર! જાણો છો આ સવાલ કરનાર કોણ હતો? ઉમર રઝી.એ કહ્યું કે અલ્લાહ અને તેનો રસૂલ જ વધારે જાણે છે, કહ્યું કે આ જિબ્રઇલ હતા, જેઓ તમને દીન શીખવાડવા માટે આવ્યા હતા. (મુસ્લિમ) આ હદીષ મુસ્લિમમાં છે.
હદીષથી મળતા ફાયદા :

૧. ઇસ્લામના પાંચ રૂકનનું વર્ણન: અને તે આ પ્રમાણે છે.
ગવાહી આપવી કે અલાલાહ સિવાય કોઈ ઇલાહ નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે.
નમાઝ કાયમ કરવી
ઝકાત આપવી
રોઝા રાખવા
બૈતે હરામનો હજ કરવો
૨. ઈમાનનાં અરકાન વર્ણન કરવામાં આવ્યા છે અને તે આ પ્રમાણે છે.
અલ્લાહ પર ઈમાન
ફરિશ્તા પર ઈમાન
કિતાબો પર ઈમાન
રસૂલો પર ઈમાન
આખિરતનાં દિવસ પર ઈમાન
સારી અને ખરાબ તકદીર પર ઈમાન
૩. એહસાનનું વર્ણન : તે એક જ રુકન છે, એ કે તું અલ્લાહની ઈબાદત એવી રીતે કર કે જાણે કે તું તેને જોઈ રહ્યો છે અને જો તું તે ન જોઈ શકે તો તે તો તને જોઈ રહ્યો છે.
૪. કયામત કાયમ થવાનો સમય જે અલ્લાહ સિવાય કોઈ જાણતું નથી.
ચોથી હદીષ :

જ : અબુ હુરૈરહ રઝી કહે છે કે આપ ﷺ એ કહ્યું : સંપૂર્ણ મોમિન તે છે, જેના અખલાક સૌથી સારા હોય. આ હદીષ તિરમિઝી રહ. વર્ણન કરી અને કહ્યું કે આ હદીષ હસન દરજ્જાની છે .
હદીષથી મળતા ફાયદા :

૧ સારા અખલાક અપનાવવા પર પ્રોત્સાહન
૨. સારા અખલાક હોવા સંપૂર્ણ ઈમાનની દલીલ છે.
૩. ઈમાનમાં વધારો ઘટાડો થઇ શકે છે.
પાંચમી હદીષ :

જ : ઇબ્ને ઉમર રઝી. રિવાયત કરે છે કે આપ ﷺ એ કહ્યું કે : જે વ્યક્તિ અલ્લાહને છોડીને અન્યની કસમ ખાશે તો તે કાફિર બની ગયો અથવા તો મુશરિક બની ગયો. આ હદીષ તિરમિઝીમાં છે.
હદીષ થી મળતા ફાયદા :

અલ્લાહ સિવાય અન્યની કસમ ખાવી જાઈઝ નથી.
અલ્લાહને છોડીને અન્યની કસમ ખાઈ શિર્કે અસગર ગણવામાં આવશે.
છઠ્ઠી હદીષ :

જ : અનસ રઝી, રિવાયત કરે છે કે આપ ﷺ એ કહ્યું : કોઈ વ્યક્તિ ત્યાં સુધી મોમિન નથી થઇ શકતો જ્યાં સુધી તેની દ્રષ્ટિએ હું તેના પિતા, તેની સંતાન અને અન્ય દરેક લોકો કરતા વધારે પ્રિય ન બની જાઉં. બુખારી/ મુસ્લિમ
હદીષથી મળતા ફાયદા :

દરેક લોકો કરતા વધારે મુહબ્બત અલ્લાહના રસૂલ ﷺ થી કરવી જરૂરી છે.
એ કે તે સંપૂર્ણ ઈમાનની દલીલ છે.
સાતમી હદીષ :

જ : અનસ રઝી. વર્ણન કરે છે કે રસૂલ ﷺ એ કહ્યું : તમે ત્યાં સુધી મોમિન નથી બની શકતા જ્યાં સુધી તમે પોતાના ભાઈ માટે તે વસ્તુ પસંદ ન કરો જે વસ્તુ તમે પોતાના માટે પસંદ કરતા હોય. બુખારી/ મુસ્લિમ
હદીષથી મળતા ફાયદા :

૧. દરેક મોમિન માટે જરૂરી છે કે તે પોતાના મોમિન ભાઈ માટે તે જ વસ્તુ પસંદ કરે, જે પોતાના માટે પસંદ કરતા હોય.
અને આ સંપૂર્ણ ઈમાનની નિશાની છે.
આઠમી હદીષ :

જ : અબુ સઈદ ખુદરી રઝી. વર્ણન કરે છે કે આપ ﷺ એ કહ્યું તે ઝાતની કસમ ! જેના હાથમાં મારી જાન છે, સૂરે ઇખ્લાસ કુરઆન મજીદના એક તૃત્યાંશ બરાબર છે. બુખારી
હદીષથી મળતા ફાયદા :

૧. સૂરે ઇખ્લાસનું મહત્વ
૨. તે એક તૃત્યાંશ બરાબર છે.
નવમી હદીષ :

જજ : અબૂ મૂસા રઝી. વર્ણન કરે છે કે રસૂલ ﷺ એ કહ્યું : لا حول ولا قوة إلا بالله આ ઝિકર જન્નતના ખજાનાઓ માંથી એક ખજાનો છે. બુખારી / મુસ્લિમ
હદીષથી મળતા ફાયદા :

૧. આ ઝિકરની મહત્વતા, અને તે એ કે જન્નતના ખજાનાઓ માંથી એક ખજાનો છે.
૨. બંદો પોતાની પાસે શક્તિથી અળગો છે,અને તે એક અલ્લાહ પર ભરોસો કરે છે.
દસમી હદીષ :

જ : નોમાન બિન બશીર રઝી. રિવાયત કરે છે કે મેં આપ ﷺ ને કહેતા સાભળ્યા, સાંભળો ! શરીરમાં એક ટુકડો છે, જો તે સીધો રહ્યો તો સંપૂર્ણ શરીર સીધું રહેશે અને જો તે ખરાબ થઇ જશે તો સપૂર્ણ શરીર ખરાબ થઇ જશે, અને સાંભળો! તે ભાગ દિલ છે. બુખારી/ મુસ્લિમ
હદીષથી મળતા ફાયદા :

૧. દિલની ઈસ્લાહ માટે જાહેર અને બાતેન બન્નેની ઈસ્લાહ જરૂરી છે,
૨. દિલનાં સુધારા માટે પ્રયત્ન કરવા જોઈએ કારણકે તેનાથી સંપૂર્ણ માનવીની ઈસ્લાહ થતી હોય છે.
અગિયારમી હદીષ :

જ. જાબિર બિન અબ્દુલ્લાહ રઝી. રિવાયત કરે છે કે આપ ﷺએ કહ્યું, જે વ્યક્તિના છેલ્લા શબ્દ લા ઇલાહ ઇલ્લલ્લાહુ હશે, તે જન્નતમાં દાખલ થશે. અબૂદાઊદ
હદીષથી મળતા ફાયદા :

૧. લા ઇલાહ ઇલ્લલ્લાહુ ઝિકરની મહત્વતા, અને એ કે તેના દ્વારા બંદો જન્નતમાં દાખલ થઈ શકે છે.
૨. અને જે વ્યક્તિના છેલ્લા શબ્દ લા ઇલાહ ઇલ્લલ્લાહુ હશે તેની મહત્વતા
બારમી હદીષ :

જ. અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝી. રિવાયત કરે છે કે રસૂલ ﷺ એ કહ્યું : મોમિન ન તો મહેણાં ટોણા મારવાવાળો , ન તો લઅનત કરવાવાળો અને ન તો તે ખરાબ જબાનવાળો મ અને ન તો તકલીફ આપનાર હોય છે. તિરમિઝી
હદીષથી મળતા ફાયદા :

૧. બકવાસ અને વ્યર્થ વાતો કરવાથી બચવું જોઈએ,
અને એ કે મોમિનની જબાન સ્પષ્ટ અને સારી હોવી જોઈએ.
તેરમી હદીષ :

જ. અબૂ હુરેરહ રઝી. રિવાયત કરે છે કે આપ ﷺ એ કહ્યું : માનવીના ઉત્તમ મુસ્લિમ હોવાની દલીલ એ છે કે તે વ્યર્થ અને બેકાર વાતોને છોડી દે. આ હદીષને તિરમિઝી વગેરે કિતાબમાં રિવાયત કરી છે.
હદીષથી મળતા ફાયદા :

૧. વ્યક્તિએ દીન અને દુનિયામાં જે વાતો વ્યર્થ હોય તેને છોડી દેવી જોઈએ.
૨. સંપૂર્ણ મુસલમાન હોવા માટે જરૂરી છે કે તે વ્યર્થ વાતોને છોડી દે.
ચૌદમી હદીષ :

જ. અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝી. રિવાયત કરે છે કે આપ ﷺએ કહ્યું : જે વ્યક્તિ અલ્લાહની કિતાબ માંથી એક હરફ (શબ્દ) ની તિલાવત કરશે, તો તેના માટે તેના જેટલો જ સવાબ મળશે, અને દરેક નેકી દસ નેકીઓ બરાબર ગણવામાં આવશે, હું એવું નથી કહેતો કે અલિફ લામ મિમ આ ત્રણેય એક જ શબ્દ છે, પરંતુ અલિફ એક શબ્દ, લામ એક શબ્દ અને મીમ ત્રીજો શબ્દ ગણવામાં આવશે. આ હદીષને તિરમિઝીએ રિવાયત કરી છે.
હદીષથી મળતા ફાયદા :

૧. કુરઆન મજીદની તિલાવત કરવાની મહત્વતા
૨. અને એ કે પ્રત્યેક. શબ્દ પર નેકીઓ લખવામાં આવશે.